જંતર – મંતર આંદોલન : દિલ્હી પોલીસનો મોટો ખુલાસો; ફેક ન્યૂઝ ફેલાવતાં 400થી વધુ પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક
S.S.SABHAR.. યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ.ગુજરાત

નવી દિલ્હી, તા. 25
દિલ્હીનાં જંતર-મંતર પર `કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસનાં ડીસીપી રોહિત રાજબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટો ખુલાસો કર્યો છે.
આંદોલનની આડમાં સોશિયલ મીડિયા-ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ-પર ભ્રામક માહિતી અને ડરનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ડિજિટલ મોનિટરિંગ દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવતાં 400થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરાઈ છે.
તપાસમાં એક મોટું આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે, જેમાં દેશની શાંતિ ડહોળવાના ઈરાદાથી પાકિસ્તાનથી સંચાલિત થતા 480 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ઓળખીને તાત્કાલિક બ્લોક કરી દેવાયાં છે.
પોલીસે સ્પષ્ટતા કરી છે કે, 20 જુલાઈના રોજ કોઈ પ્રદર્શનકારીનું મૃત્યુ થયું નથી; વાયરલ પોસ્ટમાં જે મહિલાનાં મોતનો દાવો હતો તે અફવા હતી અને તે મહિલા સુરક્ષિત છે. આ સિવાય સેનાની તૈનાતી અને સોનમ વાંગચુકના ડીપફેક વીડિયો દ્વારા પણ અફવાઓ ફેલાવાઈ હતી, જેને રોકવા માટે પોલીસે વિશેષ ‘સોશિયલ મીડિયા ટાસ્ક ફોર્સ’ની રચના કરી છે.
પોલીસે નાગરિકો અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને કોઈપણ મેસેજ કે વીડિયો શેર કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતો પાસેથી તેની સત્યતા ચકાસી લેવા અપીલ કરી છે. અસામાજિક તત્વો પોતાના સ્વાર્થ માટે આંદોલનનો ઉપયોગ કરી રહ્યા હોવાથી ઉશ્કેરણીજનક અફવાઓથી દૂર રહેવાની પોલીસે સલાહ આપી છે.
2000થી વધુ ઉપદ્રવીઓ ઓળખાયા, 130 પોલીસકર્મી ઘાયલ અને 15 FIR નોંધાઈ
દિલ્હીનાં જંતર-મંતર ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના આંદોલન દરમિયાન થયેલી હિંસા અને અરાજકતા અંગે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે ભીડમાં ઘૂસીને પોલીસકર્મીઓને નિશાન બનાવનારા 2000થી વધુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વોની આધુનિક ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) ટેક્નોલોજીની મદદથી ઓળખ કરી લેવામાં આવી છે.
આ સુનિયોજિત હુમલાઓમાં 130 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે અત્યાર સુધીમાં કુલ 15 એફઆઈઆર નોંધીને તમામ ગુનેગારોની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.



